Thursday, October 30, 2008

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.
ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.
મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.
- કૈલાશ પંડિત

No comments: