Thursday, October 30, 2008

દિન ગયો વીતી હવે એની નકામી યાદ કાં ?જે નથી આવી હજી એ કાલની ફરિયાદ કાં ?આમ ના એળે જવા દે ખાસ ઘડીઓ આજની,સાર છોડીને અસારે થાય છે બરબાદ કાં ?*મૂર્ખ, અંજલની ફિકર શી ? એ ફિકરથી મુક્ત થા,કષ્ટદાયી હોય એવા જીવતરથી મુક્ત થા;બેસ કેવળ જ્ઞાનીઓના સંગમાં તું રાત દિન,પી સુરા, કલ્લોલ કર, ગમની અસરથી મુક્ત થા.*મોત એક જ વાર છે, જીવનમાં એક જ વાર મર,નિત નવી લાચારીઓ વહોરે છે શીદ ઓ બેખબર ?આ રુધિર, આ માંસ, આ મળમૂત્ર, મુઠ્ઠી હાડકાં !છે બધુંયે તુચ્છ ! એની હોય કૈં આવી ફિકર ?*માત્ર અડધા રોટલા પર જે ગુજારે દિન તમામ,જેને બે ગજથી વધારે હોય ના ધરતીનું કામ;આ જગતમાં કોઇનો જે દાસ કે સ્વામી ન હો,એ મહા-નરના જીવન-આદર્શને સો સો સલામ.*એક રોટી બે દિને મળતી રહો જો આમરણ,ઠારવાને પ્યાસ વહેતું હો સદા નિર્મળ ઝરણ;તો પછી ઓ મૂર્ખ ! શાને જીહજૂરી કોઇની ?ચાંપવા શાને પડે પામર મનુજોનાં ચરણ ?
- ઉમર ખૈયામ (અનુવાદ: શૂન્ય પાલનપુરી)

1 comment:

Pravin Varma said...

Hello, I can't understand the language of the poems but still I appreciate your management of the blog.........